ગુજરાતનાં તમામ શહેરોમાં ડોગ સેન્ટરો આવેલા છે. આ ડોગ સેન્ટરોમાં સામાન્ય રીતે શ્વાનોનાં વ્યંધીકરણની જ કામગીરી કરવામાં આવે છે, પરંતુ રાજકોટમાં ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં આક્રમક બનેલા શ્વાનોને અન્ય શ્વાનની સાથે માણસોનાં પ્રેમની હૂંફ આપી શાંત કરવામાં આવે છે. અહીં બધા શ્વાનોને દૂધ-ભાત-પૌવા સહિતનો ખોરાક અપાય છે. તેમજ કોઈપણ પ્રકારના ઈલાજની જરૂર હોય તો પશુઓનાં ડૉક્ટર્સ દ્વારા સારવાર પણ આપવામાં આવે છે. તેમજ થોડાક દિવસોમાં શ્વાનોને શાંત કરીને જ્યાંથી લાવ્યા હોય ત્યાં પરત મુકવામાં આવે છે.
રાજકોટ મહાપાલિકાનાં ડોગ ફ્રેન્ડલી સેન્ટરનો હવાલો સંભાળતા ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં દરેક સેન્ટરમાં ડોગ સેન્ટર આવેલા છે. જ્યાં માત્ર ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત 2023માં થયેલા કોર્ટનાં આદેશને પગલે આક્રમક બનેલા શ્વાનોને થોડો સમય માટે રાખવામાં પણ આવે છે. જોકે એકમાત્ર રાજકોટનાં ડોગ સેન્ટરમાં બે વિભાગો છે જેમાં એક વિભાગમાં વ્યંધીકરણ કરવામાં આવે છે. જ્યારે આક્રમક બનેલા શ્વાનો માટે ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અહીં ખાસ ટ્રેઇનરો દ્વારા આક્રમક બનેલા શ્વાનને શાંત કરવામાં આવે છે અને સાથે-સાથે અન્ય શ્વાન તેમજ માણસો વચ્ચે રહેવાની તાલીમ પણ આપવામાં આવે છે.