મૂળ રાજસ્થાનના અને રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલાની ગુંજ ગુજરાત, રાજસ્થાન અને હવે દિલ્હી સુધી પહોંચી છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘર પર માર મારવામાં આવ્યો હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. જો કે, આ બાબતને માનવા તેમનાં પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી રહ્યા છે.
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનમાં જાટ સમાજના લોકો સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. રાજસ્થાનના ત્રણ સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માગ કરી ચૂક્યા છે. આજે બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માગ કરી હતી.
રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસની માગ કરી છે. રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉમેદારામ બેનિવાલે કહ્યું હતું કે, રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે. જેઓનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી. આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ, મૃતકના શરીર પર ઈજાનાં 48 નિશાન મળી આવ્યાં છે. પોલીસે આ ઘટનાના 16 દિવસ બાદ પણ FIR દાખલ કરી નથી.