જેલમાં રહેલા કૌભાંડી ટીપીઓ મનસુખ સાગઠિયાના કૌભાંડોની શાહી હજુ સુકાઇ નથી ત્યાં હવે શાસકો જ સાગઠિયા જેવા બની ગયા હોય તેવું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મનપાના સત્તાધીશોએ અમરજીતનગરમાં બસ સ્ટેન્ડના હેતુ માટે અનામત રખાયેલી રૂ.66 કરોડથી વધુની કિંમતની 13341 ચોરસ વાર જમીન ભૂમાફિયાઓને પધરાવી દેવા કારસ્તાન રચ્યાની હકીકત પ્રકાશમાં આવી છે. જેના માટે મનપાએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી લીધા બાદ રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગની હેતુફેર માટે મંજૂરી પણ મેળવી લીધી હતી અને દબાણ કરનારાઓને જ સનદ આપવા તા.20મીએ મળનાર જનરલ બોર્ડમાં ઠરાવ કરી લેવાનું ગોઠવી નાખ્યું છે.
બોર્ડના એજન્ડામાં 8મી દરખાસ્ત રાજકોટની આખરી નગર રચના યોજના નં.1ના અનામત પ્લોટ નં.1085ને “બસ ટર્મિનસ’ના હેતુમાંથી ‘રહેણાક વેચાણ’ હેતુ માટે જમીનનો હેતુફેર કરવા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.1 (રાજકોટ) (દ્વિતીય ફેરફાર) બનાવવા માટે ઇરાદો જાહેર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર નં.01 તા.15-04-2025ના રોજ દરખાસ્ત કરવામાં આવી છે. જે અંગે જનરલ બોર્ડમાં નિર્ણય કરવામાં આવનાર છે. બોર્ડમાં ભાજપના 12 નગરસેવકોએ 19 અને કોંગ્રેસના 1 નગરસેવકે 3 પ્રશ્નો પૂછ્યા છે. જેમાં પ્રથમ પ્રશ્ન ભાજપના સાકરિયાનો મનપાને મળેલી સરકારી ગ્રાન્ટ વિશેનો છે.
1984માં બની હતી ટી.પી.સ્કીમ નં.1 આ દરખાસ્ત સંદર્ભે ભીતરમાં તપાસ કરતાં 1984માં ટી.પી. સ્કીમ નં.1 બની હતી અને તેમાં પ્લોટ નં.1085 બસ સ્ટોપના હેતુ માટે રિઝર્વ હતો. એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નં.5માં આવેલા અંદાજે રૂ.66 કરોડથી વધુની કિંમતના આ પ્લોટમાં સંખ્યાબંધ દબાણો વર્ષોથી છે ત્યારે અનામત હેતુના પ્લોટમાંથી દબાણ દૂર કરવાના બદલે મહાનગરપાલિકામાં દબાણકારોને પ્લોટ ફાળવી દેવા છાનેખૂણે તખતો ગોઠવાયો છે અને તેના માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરી આ પ્લોટનો હેતુફેર કરવા રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી માગવામાં આવી હતી અને ટાઉન પ્લાનિંગ શાખાની મંજૂરી મળી ગયા બાદ હવે દબાણકારોને સનદ આપવા માટે જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખાની મંજૂરી મુજબ 1085 નંબરના 11211 ચો.મી. એટલે કે 13341 ચોરસ વાર પ્લોટ રહેણાક હેતુમાં ફેરવી દેવામાં આવશે.