વીરપુર તેમજ જેતપુર પંથકમાં સિમ વિસ્તારમાં આવેલી વીડીઓને લાઇન ટેરેરરી તરીકે જાહેર કરવામાં આવી છે અને આસપાસના સીમ વિસ્તારોમાં જમીન ધરાવતા ખેડૂતોના પશુઓનું છાશવારે જંગલી જાનવરો મારણ કરતા હોય છે, જેના બદલામાં વન વિભાગ સહાયરૂપે વળતર ચૂકવતો હોય છે
પરંતુ વીરપુર સહિત જેતપુર પંથકના બાવા પીપળીયા, રૂપાવટી, બોરડી સમઢીયાળા, ખારચિયા, પીઠડીયા, જેતલ સર સહિતના ગામના ઘણા ખરા ખેડૂતોના પશુઓના મારણ જંગલી પ્રાણીઓ કરી ગયા હોવા છતાં અને આ બાબતને પાંચ મહિના કરતાં વધુ સમય વીતિ જવા છતાં કોઇ ખેડૂતોને વળતર અપાયું નથી.જે માટે આરએફઓ અને ડીએફઓ એક જ રટણ કરે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી અને ખેડૂતો રજૂઆત કરવા વન વિભાગની કચેરીએ જાય તો અલીગઢી તાળા લટકતા જોવા મળે છે. આથી ખેડૂતોને ધરમધક્કા થતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.
આહાબા સિમ વિસ્તારમાં ખેતર ધરાવતા કમલેશભાઈ સરવૈયા,દિનેશભાઇ સરવૈયાએ પોતાના બે બળદમાંથી એકનું જંગલી પ્રાણીઓ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી અને ફોરેસ્ટર જયાબેન રાઠોડે પંચનામું કરી તપાસ શરૂ કરી હતી પરંતુ આ બનાવના ચાર મહિના વીતી ગયાં છતાં ખેડૂતને કોઈપણ પ્રકારની સહાય કે વળતર ચુકવવામાં આવ્યું નથી. આ અંગે ખેડૂતોએ જાણ કરતાં એવું જણાવાયું કે થોડા સમયમાં જમા થઇ જશે પરંતુ એ વાતને બે મહિના વીતી ગયા. ખેતીનો સમય નજીક આવી રહ્યો છે, એક બળદથી ખેતી કરવી કઇ રીતે? સહાય મળે તો બીજા બળદની ખરીદી થઇ શકે.