સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચને હિંડનબર્ગ કેસમાં લોકપાલ દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે. લોકપાલની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ હિંડનબર્ગ કેસમાં તેમની સામેની બધી ફરિયાદોનો નિકાલ કરી દીધો છે. લોકપાલે કહ્યું છે કે, બુચ સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી.
લોકપાલે આદેશમાં કહ્યું, 'અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે ફરિયાદોમાં કરવામાં આવેલા આરોપો અનુમાન અને ધારણાઓ પર આધારિત છે. આ સિવાય, આ મામલે કોઈ ચકાસાયેલ સામગ્રી મળી નથી. તેથી તેમની સામે કરવામાં આવેલી બધી ફરિયાદો રદ કરવામાં આવે છે.'
લોકપાલે કહ્યું, 'ફરિયાદીઓએ આ પરિસ્થિતિથી વાકેફ હોવાથી, અહેવાલથી સ્વતંત્ર રીતે આરોપો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપોના અમારા વિશ્લેષણથી એવું તારણ નીકળ્યું કે બધા આરોપો અપુષ્ટ, અપ્રમાણિત અને વ્યર્થ હતા.' આ ઉપરાંત, લોકપાલે તેના આદેશમાં કહ્યું કે કોઈપણ આરોપોમાં કોઈ તથ્ય નથી.'