કેન્દ્ર સરકાર બે તબક્કામાં જાતિગત વસતિ ગણતરી કરશે. ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે 4 પહાડી રાજ્યો- હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં જાતિગત વસતિ ગણતરી હાથ ધરવામાં આવશે.
બાકીના રાજ્યોને 1 માર્ચ, 2027થી બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જાતિ વસતિ ગણતરી સાથે વસતિ ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંબંધિત સૂચના 16 જૂન, 2025 સુધીમાં સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.
કેન્દ્રએ 30 એપ્રિલ, 2025ના રોજ જાતિ વસતિ ગણતરી કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી દેશમાં આ પ્રથમ જાતિ વસતિ ગણતરી હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જાતિ વસતિ ગણતરી મૂળભૂત વસતિ ગણતરી સાથે કરવામાં આવશે.
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો જાતિગત વસતિ ગણતરીની માગ કરી રહ્યા છે. દેશમાં છેલ્લી વસતિ ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી. તે દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે. તે મુજબ આગામી વસતિ ગણતરી 2021માં હાથ ધરવામાં આવવાની હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.