રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાના સ્થળ મામલે અસમંજસ ચાલી રહી હતી ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમા 14 થી 18 ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજવાની જાહેરાત કરવામા આવી છે. આજે સવારે જ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ છેલ્લા એક વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી હતી. તો સામાજિક આગેવાને રેસકોર્ષ અથવા શાસ્ત્રી મેદાનમાં જ મેળો યોજવાની માગ કરી હતી. અંતે રાજકોટ તંત્ર દ્વારા 14 થી 18 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસનો મેળો રેસકોર્ષ મેદાનમાં જ યોજવાનો નિર્ણય કરાયો છે.
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.14 થી 18 ઓગષ્ટ સુધી 5 દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.9 થી તા.13 જૂન દરમિયાન ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11 થી બપોરના 16 કલાક દરમિયાનમાં રૂ.200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે.
અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને "અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે. સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 6 સ્ટોલ તા. 23 જૂનના સોમવારના 11 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટનો તા.23 જૂનના સોમવાર સવારે 11.30 કલાકે હરરાજી રાખવામાં આવી છે.