વાવણીના વણજોયા મુહૂર્ત તરીકે જાણીતા પર્વ ભીમ અગિયારસનું પવિત્ર પર્વ અને મુહૂર્ત વરસાદે સાચવી લીધું હતું અને ગોંડલમાં ધોધમાર એક ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો તો બીજી તરફ આટકોટ, જસદણ, ખારચિયા પંથકમાં જોરદાર ઝાપટાંએ ઠંડક પ્રસરાવી દીધી હતી.ગોંડલમાં દિવસભરનાં આકરા તાપ અને અસહ્ય બફારા વચ્ચે સાંજે આકાશ ગોરંભાયું હતુ.વિજળીની ગગનભેદી ગાજવીજ સાથે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાયા હતા.અને રાજમાર્ગો પર નદીનાં વહેણની માફક પાણી વહ્યા હતા.વરસાદને કારણે ઠંડક પ્રસરતા અસહ્ય બફારાથી અકળાયેલા લોકોને રાહત મળી હતી.
ભીમ અગિયારસના પવિત્ર દિવસે જસદણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, પરંતુ અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.છેલ્લા કેટલાક દિવસોથી જસદણ પંથકમાં ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા. ત્યારે ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં જ મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ શહેર અને પંથકમાં વરસાદે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવી લેતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ આગામી વાવણી માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.